વક્તવ્ય:યુગપુરુષ-મારા દાદાજી | Speech-Yugpurush Mara Dadaji

વક્તવ્ય:યુગપુરુષ-મારા દાદાજી.


Speech-mara-dadaji-manushya-gaurav-din-Pandurang Shastri-athwale-birthday

જય યોગેશ્વર,

મારા સ્વાધ્યાયી વડીલો તથા મિત્રો,

આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો.

મરાઠીમા મોટાભાઈને ‘દાદા’ કહે છે.એ સૌના મોટા ભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારેય લાગતા નથી.સફેદ વસ્ત્રો, કબીરની ડાઘાડૂઘ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે.ચશ્માં પાછળ દેખાયા કરતી સ્નેહાર્દ આંખો અને મંદિરમા ધજાની જેમ વારેવારે વાતચીતમા ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે.

સમાજ સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા.દુનિયાનાં આધ્યાત્મિક પુરુષોની પરદેશમા એક પરિષદ હતી.સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા.પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે –  “Self Introduction is not our culture”.

તેમણે ગામેગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી છે પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું.તેઓ ગામ નાં દરેક માણસને મંદિરનાં બાંધકામમા સાંકળે છે.દરેકને લાગે કે આ મંદિર અમારું છે.આ રીતે લોકો મા આત્મીયતા કેળવાય.કોઈ ગામમાં લીલુંછમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય.પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કૃષિ, વૃક્ષમંદિર, અમૃતાલય, શ્રીદર્શનમ્, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે.

ભાવનગરમા એક મંદિરનાં ઉદઘાટન પ્રસંગે તેઓએ મુસલમાનો ને પણ આમંત્રણ આપ્યા.ત્યાંનાં મુસલમાનો ને પણ નવાઈ લાગી.હિંદુઓને ત્યાં લગ્નનાં તેમણે આમંત્રણ મળતા હતાં.પરંતુ ધાર્મિક વિધિનું આ પહેલું જ આમંત્રણ હતું.દાદાએ કહ્યું – “અલ્લા અને ઈશ્વર જુદા હોય તો એ લોકો જ લડતા હોત અને મુસલમાનનાં અલ્લા કે હિંદુઓનાં ઈશ્વર એકબીજાની વસ્તી પર વરસાદ જ ન વરસાવતા હોત.”
તેમનાં મંદિરમા પણ સાદાઈનું ધોરણ એ સૌથી મહત્વની વસ્તુ એક ઉત્સાહી ભાઈએ મંદિરમાં આરસ વાપરવાનું સૂચન કર્યું.ત્યારે દાદા કહે “આરસ ફાઈવ સ્ટાર હોટલની બાથરૂમમા વપરાય છે.શું આપણે  ભગવાન ને એ સ્તર પર મૂકવા છે ?”

માછીમારોની દુનિયામા તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસનમુક્ત કર્યા છે.દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભત્વ અદભૂત છે.તેઓ હંમેશા કર્મપ્રેરિત વચનો આપે છે.દાદા કહેતા કે "આજની પ્રચલિત ભકિત શાસ્ત્રોકત નથી. કારણ કે પરમાત્મા જે સાઘ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે." દાદા બાળકો – યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમા સક્રિય કરી રહ્યા છે.તેઓએ અનેક માણસો ને કર્મયોગ મા જોડ્યા છે.તેઓ એ ‘ડિવાઈન બ્રધરહૂડ અંડર ધી ફાધરહૂડ ઓફ ગોડ’ની ભાવના લોકોમા જાગૃત કરી.દેશ અને પરદેશમા દાદાનાં લાખો અને કરોડો ચાહકો છે.તેમની વૃતિ અને પ્રવૃત્તિમા ગીતાનાં અધ્યાયનો રણકાર છે.તેઓ આ યુગનાં ‘યુગપુરુષ’ છે.


તા. ૨૧/૮/૧૯૯૯
બાળ-સ્વાધ્યાય કેન્દ્ર, વડોદરા ખાતે આપેલ વ્યક્તવ્ય
જગત અવાશિયા

“કૃષ્ણમ વંદે જગદગુરૂ”



                              👉  4 લાખ કોળી પટેલ સ્વાધ્યાયીઓની ભાવવંદના,સુરત ⏯️ Play

Post a Comment

1 Comments

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.