વાક્ બારસ એટલે શું અને ભારતીય સંસ્કૃતિ મુજબ તેનું મહત્વ.
વાધ ના ફોટા આડેધડ શેર કરવા વાળા જોઇ લો આપણી સંસ્કૃતિ સાથે નુ મહત્વ...
મિત્રો,
એક વાત ક્લિયર કરવાનું મન થાય છે કે, આપણો તહેવાર વાઘ બારસ એ વાઘ બારસ નથી, પરંતુ વાક્ બારસ છે!
પૂજ્ય. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી કહે છે કે
શબ્દકોશમાં વાકનો અર્થ અપાયો છે, વાક્ = વાણી, વાચા, ભાષા.
વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે.
વાક્ એટલે વાચા કે ભાષાની દેવી છે સરસ્વતિ,
જેના કારણે જ સરસ્વતિ માતા ને વાગ્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે...
મજાની વાત તો એ છે કે આપણે વાક્બારસ ઊજવતા નથી, પણ લક્ષ્મીપૂજા બે વખત કરીએ છીએ.
વાઘબારસના દિવસે વાક્ એટલે કે વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનું પણ પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર શારદાનું પૂજન એટલે વાક્ બારસ. વાણી અને પાણી બંને શુધ્ધ ન હોય તો તન અને મન બંને બગડે અને જીવન એળે જાય. જેથી વાણી અને પાણી બન્ને શુધ્ધ હોય તો બુધ્ધિ વધે, સાદગી અને નમ્રતાનો ઉદ્ભવ થાય અને જીવન સમૃધ્ધ બને. જ્યાં વાણી શુધ્ધ હોલય તો શ્રી એટલે કે લક્ષ્મીની પ્રાપ્તી થાય છે.
મા સરસ્વતિ આપણી વાચા અને ભાષા સારી રાખે અને બુદ્ધિ ભ્રષ્ટ ન થતાં આપણા આચાર-વિચારો સારા રાખે એ સંદર્ભે આજે બારસ ના દિને મા સરસ્વતિની પૂજા કરવી જોઈએ.
વાઘબારસને ગુરુ દ્વાદશી પણ કહેવામાં આવે છે. ગુરુ બારસ અર્થાત્ જ્ઞાન આપનારની પૂજા, જ્ઞાનનું માહાત્મ્ય, પણ ગુરુ દ્વાદશી તરીકે પણ ઉજવણી ક્યાં થાય છે? ગામડાંમાં હજી પણ વાઘબારસના દિવસે ગાયની પૂજા કરવામાં આવે છે. નાના હતા ત્યારે એ સમજાતું નહોતું કે નામ વાઘબારસ છે અને પૂજા ગાયની કેમ થાય છે? વાઘની કેમ નહીં? પછી સમજાયું કે તેને ગોવત્સદ્વાદશી પણ કહેવામાં આવે છે એટલે ગાય અને વાછરડાંની પૂજા કરીને તેમને ઘઉંની વાનગીઓ ખવડાવાય છે.
વાઘબારશ સૌરાષ્ટ્રમાં પોડા બારશ તરીકે પણ ઓળખાય છે, ચોમાસાના કારણે જૂના જમાનામાં ગાર માટીના ઘરને નુકસાન થતું. એને ફરીથી વ્યવસ્થિત કરવા માટે પોપડા (લિંપણ-#Smearing)ઉખેડવા પડે. આવા પોપડા ઉખેડવાની બારસને સૌરાષ્ટ્રમાં પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે જ વાક્ બારસ પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. દેવી સરસ્વતી એટલે વાણીની દેવી. પૂરી નિષ્ઠાથી પૂજન કરવાથી દેવી સરસ્વતીની કૃપા ઉતરે છે અને મનુષ્યની વાણી શુધ્ધ બને છે. પુરાણો મુજબ જો વાણી ખરાબ હોય તો મનુષ્ય પડતી એટલે કે વિનાશને આરે પહોંચી જાય છે. વાણી શુધ્ધ બને તો લક્ષ્મીનો વાસ થાય અને અને વ્યક્તિની ઉન્નતિ થાય છે.
સરસ્વતી એટલે જ્ઞાનશક્તિની ઉપાસના વાઘબારસના દિવસે દેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. મા શારદાને જ્ઞાન અને સંગીતની દેવી માનવામાં આવે છે. આ દિવસે મા સરસ્વતીનું પૂજન કરાય છે. દેવી સરસ્વતીને સફેદ ફૂલો અર્પણ કરી અને પૂજન કરાય છે. સાથે જ જ્ઞાનઉપાસના માટે દીપ પ્રગટાવી જ્ઞાનના ઉપાર્જન માટે ધ્યાન ધરવામાં આવે છે.
આસૂરી શક્તિઓને અટકાવવા ઘરમાં રંગોળી કરવાનું મહાત્મ્ય દીપાવલીના પર્વમાં આંગણું લિંપી, સ્વચ્છ કરી ભાતભાતની રંગોળી પૂરવાની પ્રથા આપણે ત્યાં પરાપૂર્વથી ચાલી આવે છે. દીપાવલિના દિવસોમાં વિશિષ્ટ સાત્વિક શક્તિઓનું અવની પર અવતરણ થાય છે તેમને આવકારવા અને આસૂરી શક્તિઓને અંદર પ્રવેશતી અટકાવવા ઘરમાં રંગોળી કરવાનું મહાત્મ્ય છે.
વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાંખ્યું અને વાઘના સંદર્ભે આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા માંડ્યો.
પરંતુ આપણી હિન્દુ સંસ્કૃતિ(#Hindu #culture) અને ફિલોસોફી(#philosophy) એમ કહે છે કે,
લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જોવીએ.
જેથી જ આપણા વડવાઓ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસ ના દિવસે મા સરસ્વતિની પૂજા કરે છે.
તેથી વાઘ સાથે આ તહેવારને કોઈ લેવાદેવા નથી.
આજે તો મા સરસ્વતિની જ પૂજા થવી જોઈએ અને એમના ચરણોમાં નત મસ્તક પ્રાર્થના થવી જોઈએ કે,
'હે મા, અમારે ઘરે તું લક્ષ્મી થઈને આવે એ પહેલા સરસ્વતિ થઈને આવજે, અમને સદ્દબુદ્ધિ આપજે અને હંમેશાં અમારી વાણી પર વાસ કરજે.'
❃ સરસ્વતી વંદના ❃
શૂન્યમાંથી શબ્દ થઈ વેદ બનતી શારદા
શિવ જટાથી જ્ઞાનગંગા થઇને વહેતી શારદા
ચંદ્ર કેરા રજત રસથી દેહ જાણે તુજ બન્યા
તારકોના હાર તારા કંઠમાં શોભી રહ્યા
ધવલ વાદળના વસનમાં શોભતી મા શારદા
-શૂન્યમાંથી...
અબ્ધિના ઉંચા તરંગો શ્વેત ફેને શોભતા
હંસ શો આકાર લઇને વ્યોમમાં એ પોં'ચતાં
વાહન બનાવી હંસનું વિદ્યા વરસતી શારદા
-શૂન્યમાંથી...
કોક દી તું મયુરના ટહુકાર માહીં ગુંજતી
સૌંદર્ય ફેલાવી જગે વિધ વિધ કલામાં નાચતી
તુ મોર પર આરુઢ થઇ સૌંદર્ય પાતી શારદા
-શૂન્યમાંથી...
કર મહીં વીણા જીવનમાં ગીત સંગીત રેડતી
શુષ્કતામાં પ્રેમની સરગમ મજાથી છેડતી
પ્રકૃતિમાં સ્નેહ ગુંજન ગુંજતી મા શારદા
-શૂન્યમાંથી...
વિશ્વ મણકે ધુમતી તવ માળ ક્ષણને માપતી
સૃષ્ટિના પુસ્તક મહીં તું જ્ઞાનને રેલાવતી
કર કમંડલ જલ થકી ચૈતન્ય દેતી શારદા
-શૂન્યમાંથી...
મસ્તક તણા મંદિર મહીં બિરાજજે એવું ચહું
ભેદજે અજ્ઞાનના અંધારને એમજ કહું
વ્યાપક સ્વરૂપને પ્રણમતો હું વારે વારે શારદા
-શૂન્યમાંથી...
જેની જીભે સરસ્વતી બિરાજમાન હોય તે જ માણસ સફળ થઈ શકે, ધનવાન બની શકે. એટલે જ વાક્ બારસ પહેલાં આવે છે, લક્ષ્મી પૂજન પછી આવે છે.
જેનું દિલ સાફ હોવાનું એનું ઘર સાફ જ હોવાનું અને એટલે જ જેને ત્યાં પહેલા સરસ્વતિ આવી હોય એને ત્યાં આવતીકાલે લક્ષ્મી પણ રૂમઝૂમ કરતી આવશે...
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.