ઉત્સવ દર્શન - ગૂડીપડવો
ગૂડીપડવો:
સાડા ત્રણ મુહૂર્તોમાંથી એક;
ચૈત્ર સુદ પ્રતિપદાને મહારાષ્ટ્રમાં ગૂડીપડવો કહે છે. વર્ષના સાડા ત્રણ મુહૂર્તોમાં ગૂડીપડવાની ગણતરી થાય છે.અન્ય દિવસે શુભકાર્ય કરવા માટે મુહૂર્ત જોવું પડે છે; પણ ચૈત્ર સુદ પ્રતિપદા (સંસત્સરારંભ, ગૂડીપડવો), આ તિથિનો પ્રત્યેક ક્ષણ જ શુભમુહૂર્ત હોય છે.હિંદુઓનું નવું વર્ષ;
ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિની નિર્મિતિ કરી. આ દિવસે પ્રજાપતિ દેવતાની લહેરીઓ પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવે છે. આ હિંદુઓનો નવવર્ષ આરંભ છે. ૧ જાન્યુઆરીને દિવસે વર્ષ આરંભ કરવાનું કોઈ કારણ નથી. આનાથી ઊલટું, ચૈત્ર સુદ એકમના દિવસે વર્ષ આરંભ કરવાના નૈસર્ગિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણો છે.
શાલિવાહન શકનો પ્રારંભ આજ દિવસથી થાય છે. શાલિવાહન નામના એક કુંભારના છોકરાએ માટીનું સૈન્ય તૈયાર કરી તેના પર પાણી છાંટી તેમને સજીવન કર્યા અને તેમની મદદથી પ્રભાવી શત્રુઓનો પરાભવ કર્યો. આ જયપ્રીત્યર્થ શાલિવાહન શક ચાલુ થયો.
શાલિવાહને માટીના સૌન્યમાં પ્રાણ પૂર્યો એ તો એક લાક્ષણિક કથન છે . એના સમયમાં લોકો સાવ ચેતનહીન, પૌરુષહીન અને પરાક્રમહીન બની ગયા હતા. તેથી જ તેઓ શત્રુ સામે જીતી શકતા ન હતા. માટીનાં મડદાંઓ વિજયશ્રી કયાંથી મેળવી શકે ? પણ શાલિવાહને આવી આ લોકોમાં ચૈતન્ય પ્રગટાવ્યું. માટીના મડદાંમાં મરદાનગી પ્રગટી. પથ્થરનાં પૂતળાઓમાં પૌરુષ અને પરાક્રમ જાગી ઊડ્યાં અને શત્રુઓનો પરાજય થયો. આજે આપણે પણ દીન, હીન અને જડવાદ સામે લડવાને અસમર્થ બન્યા છીએ. મનુના સંતાન એવા મનુષ્યને આ ક્ષુદ્ર અને મૃતવત્ જોઈને સૃષ્ટિ સર્જકને કેટલી વ્યથા થતી હશે ? “अमृतस्य पुत्रा:“ એમ કહીને વેદો જેને બિરદાવે છે એવા સિંહસુત સમા માનવને બિચારો બનીને ફરતા નિહાળીને પ્રભુને શું થતું હશે ?
સૂતેલાઓનાં કાનમાં સાંસ્કૃતિક શંખધ્વનિ ફૂંકવા અને મૃત માનવોનાં શરીરમાં જીવન સંચાર કરવા આજે શાલિવાહનોની જરૂર છે. માનવ માત્રમાં ઈશ્વરદત્ત વિશિષ્ટ શક્તિઓ રહેલી છે. જરૂર છે માત્ર તેને જગાડવાની. સમુદ્ર ઉલ્લંઘન સમયે માથે હાથ દઈ બેસી ગયેલા હનુમાનને જરૂર છે પીઠ પર હાથ ફેરવી વિશ્વાસ આપનાર જાંબુવાનની. શસ્ત્રો છોડીને બેસી ગયેલાં યુદ્ધ પરાડ્મુખ અર્જુનને જરૂર છે ઉત્સાહપ્રેરક માર્ગદર્શક કૃષ્ણની. સંસ્કૃતિના સપુત અને ગીતાના યુવાનને આવકારવા અને સત્કારવા આજનો સમાજ પણ તૈયાર છે. આજના આ દિવસે પુરુષાર્થ અને પરાક્રમી સાંસ્કૃતિક વીર થવાની પ્રતિજ્ઞા કરવાની.
આ જ દિવસે શ્રી રામચંદ્રે વાલીના જુલમમાંથી દક્ષિણની ભૂમિને છોડાવી હતી, એવું પણ કેટલાકનું માનવું છે કે વાલીના ત્રાસ માંથી મુક્ત થયેલી પ્રજાએ ઘેર-ઘેર ઉત્સવ કરી ગુડીઓ ( ધ્વજાઓ ) ઊભી કરી હતી. હજુ પણ ઘરના આંગણામાં ગૂડી ઊભી કરવાને રિવાજ મહારાષ્ટ્રમાં પ્રચલિત છે. તેથી જ આ દિવસને “ ગુડી પડવો ” એ નામ મળ્યું છે. ઘરના આંગણામાં જે ગુડી ચડાવવામાં આવે છે તે વિજયનો સંદેશ આપતી હોય છે . ઘરમાંથી વાલીનો – આસુરી સંપત્તિનો , રામે – દૈવી સંપત્તિએ નાશ કર્યો તેનું એ સૂચન છે. ગૂડી એટલે વિજય પતાકા. ભોગ પર યોગનો વિજ્ય , વૈભવ પર વિભૂતિનો વિજય અને વિકાર પર વિચારનો વિજય. મંગલતા અને પવિત્રતાને વાતાવરણમાં સતત પ્રસરાવતી એ ગૂડીના ચડાવનારે આત્મનિરીક્ષણ કરીને જોવું રહ્યું કે મારા મનમાં રહેલ વાનરવૃત્તિ - ચાંચલ્યવૃત્તિનો નાશ થયો કે નહીં. મારું મન શાંત, સ્થિર અને સાત્વિક બન્યું કે નહીં ?
મલબારમાં આ ઉત્સવ વિશિષ્ટ રીતે ઉજવાય છે. ઘરના દેવગૃહ, ઘરની સર્વ સંપત્તિ તથા શોભાયમાન ચીજો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. સંવત્સર પ્રતિપદાને દિવસે પરોઢિયે ઊડીને ઘરનાં આબાલ - વૃદ્ધ સૌ આંખ મીંચીને દેવગૃહમાં જાય છે. ત્યાં જઈ પિતાની આંખ ઉઘાડી ગૃહલક્ષ્મી સહિત પ્રભુનાં દર્શન કરે છે. ઘરના મુખ્ય વડીલ સંપત્તિ અને ઐશ્વર્ય થી શોભિત દેવની આરતી ઉતારે છે.
મલબારના આ રિવાજ પાછળ પણ ભારતીય સંસ્કૃતિ ડોકિયાં કરી રહી છે. પરોઢિયે ઊઠી , “कराग्रे वसते लक्ष्मी:” એ શ્લોકને ચરિતાર્થ કરતાં હાથમાં રહેલ દેવદેવીઓનું દર્શન કરવું એમ જે સંસ્કૃતિએ કહ્યું છે, તે સંસ્કૃતિના સૂરમાં, વર્ષના પરોઢિયે ” એટલે કે પ્રતિપદાના દિવસે ગૃહલક્ષ્મીથી યુક્ત દેવનું પ્રથમ દર્શન કરવું એવી આ રૂઢિ તાલ પુરાવે છે. મળસ્કે શુભદર્શન કરનારનો દિવસ સારો જાય છે એવી આપણી માન્યતા છે. વર્ષારંભને દિવસે પ્રભુનું દર્શન કરનારનું વર્ષ સારું જાય એમાં શી નવાઈ ?
વળી સર્વ સંપત્તિ દેવગૃહમાં પ્રભુના પગ પાસે મૂકવામાં આવે છે. એ રિવાજ ભારતીય - જનની ઈશ્વરાર્પણ બુદ્ધિનો ખ્યાલ આપે છે. જે કંઈ સંપત્તિ, ધન , વૈભવ કે ઐશ્વર્ય પ્રભુએ મને આપ્યું છે એ પ્રભુને ચરણે ધરી પ્રસાદરૂપે ભક્તિની ભાવનાથી તેને સ્વીકાર કરવાનો. સમર્થ ગુરુ રામદાસને સમર્પિત રાજ્ય પ્રસાદરૂપે પાછું મળ્યા પછી જે ભાવનાથી છત્રપતિ શિવાજીએ રાજ્યશાસન કર્યું તે જ ભાવનાથી વર્ષભર પ્રભુએ મોકલેલ એશ્વર્યનનો ઉપભોગ કરવો એમ આ રિવાજ સૂચવી રહ્યો છે.
તહેવાર ઊજવવાની પદ્ધતિ;
આ તિથિએ કરવામાં આવેલો શુભસંકલ્પ આપણા જીવન માટે ફળદાયક બને છે. અન્ય દિવસોની તુલનામાં આ દિવસે બ્રહ્મદેવ પાસેથી સત્ત્વગુણ, ચૈતન્ય, જ્ઞાન લહેરો અને સગુણ-નિર્ગુણ બ્રહ્મતત્ત્વનો ૫૦ ટકાથી પણ અધિક પ્રક્ષેપણ થાય છે. આ પક્ષેપણ ગ્રહણ કરવા માટે જ મુખ્ય દ્વાર સામે ધજા ઊભી કરવામાં આવે છે.
ધર્મધ્વજરોપણની પદ્ધતિ;
- ધ્વજની સ્થાપના સાથિયો પૂરીને તેના પર કરવી. લાંબી વાંસની લાકડીના છેડે લીલા અથવા પીળા રંગનું ચોળીનું વસ્ત્ર બાંધવું. તેના પર પતાસા, લીમડાનાં કુમળાં પાન, આંબાની ડાળી અને લાલ ફૂલોનો હાર બાંધીને તેના પર ચાંદી અથવા તાંબાનો કળશ શણગારીને ધ્વજ ઊભો કરવો. ધ્વજ સીધો ઊભો રાખવાને બદલે, તે આગળ થોડો નમેલો હોવો જોઈએ. ધ્વજ સૂર્યોદય પછી તુરંત ઊભો કરવો. ધ્વજ ઊભો કરતી સમયે ઘરનાં મુખ્ય દ્વાર બહાર; પણ ઉંબરાને સંલગ્ન (ઘરની અંદરથી જોવાથી) જમણી બાજુ જમીન પર ઊભો કરવો.
- ધ્વજની સામે શુભચિન્હયુક્ત સાત્ત્વિક રંગોળી પૂરવી.
- ‘બ્રહ્મધ્વજાય નમ:’ બોલીને ધ્વજની પૂજા કરવી. એટલે આ કાળમાં પૃથ્વી પર મોટા પ્રમાણમાં આવનારી પ્રજાપતિ દેવતાની લહેરીઓનો લાભ વધારે થાય છે.
પ્રસાદગ્રહણ;
ચણાની પલાળેલી દાળ અથવા પલાળેલા ચણા, લીમડાનાં ફૂલ અને કુમળાં પાન, મધ, જીરું અને થોડો હિંગ મિશ્રણ કરીને વાટીને પ્રસાદ બનાવવો અને વહેંચવો. અન્ય કોઈપણ પદાર્થ કરતાં લીમડામાં પ્રજાપતિ-લહેરીઓ ગ્રહણ કરવાની ક્ષમતા વધારે હોવાથી નવવર્ષને દિવસે કડવા લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.
આ દિવસે લીમડાના રસનું પાન કરવામાં આવે છે. મંદિરમાં પણ દર્શન કરવા આવનાર સૌને લીમડો અને સાકર પ્રસાદરૂપે મળે છે. લીમડો કડવો છે પણ આરોગ્યપ્રદ છે. શરૂઆતમાં કષ્ટ દઈ પાછળથી કલ્યાણ કરનારાઓની જ્ઞાતિમાનો તે એક છે. લીમડાનું સેવન કરનાર સદાએ નીરોગી રહે છે. કેટલાક વિચારો આચારમાં આણતા કષ્ટ પડે છે એટલું જ નહી કડવા લાગે છે. પણ તે જ વિચારો જીવનને ઉદાત્ત બનાવે છે. તેવા સુંદર, સાત્ત્વિક વિચારોનું સેવન કરનાર માનસિક અને બૌદ્ધિક તંદુરસ્તી ભોગવે છે. એનું જીવન નીરોગી બને છે. વળી પ્રગતિને પંથે જનારને જીવનમાં કેટલાયે “ કડવા ઘૂંટડા પીવા પડે છે તેનું એમાં સૂચન છે.
મંદિરમાંથી મળતા લીમડા અને સાકરના પ્રસાદની પાછળ અતિ મધુર ભાવના છુપાયેલી છે. જીવનમાં કદીયે સુખ કે દુઃખ એકલાં નથી આવતાં. સુખની પાછળ જ દુઃખ હોય છે અને દુઃખની પાછળ જ સુખ અનુગમન કરતું હોય છે.
ટૂંકમાં, આ ઉત્સવ મૃત માનવમાં ચેતન પ્રગટાવી તેની અસ્મિતાને જાગૃત કરે છે, સાથે સાથે માનવને મળેલી શક્તિ, સંપત્તિ, બુદ્ધિ એ બધું ઈશ્વરદત્ત છે એમ સમજાવી તેનામાં સમર્પણની ભાવની પ્રગટાવે છે, અસ્મિતા અને સમર્પણવૃત્તિના સમન્વયથી સ્વસ્થ બનેલો આ માનવ હસતે મોઢે વિઘ્નનો સામનો કરી શકશે, તેમજ જીવન માં આવતા રહેલાં સખદુ : ખોથી પથચ્યુત ન બનતાં જરૂર પડયે અનંત કડવા ઘૂટડા પી જઈને પણું પ્રભુકાર્ય માં કટિબદ્ધ થઈને રહેશે.
આજના દિવસે પ્રભુકાર્યના સાચા સૈનિક બનવાનો સંકલ્પ કરવાનો તેમજ મળેલું જીવન એ પ્રભુનો પ્રસાદ છે અને મળતો રહેલો વૈભવ એ પ્રભુનું પાદોદક છે એ જ ભાવના દઢ કરવાની.
નવું વર્ષ ૧ જાન્યુઆરીના દિવસે નહીં , પણ ગૂડીપડવાના દિવસે ઊજવો !
પશ્ચિમી લોકોની જેમ ૧ જાન્યુઆરીના દિવસે નહીં, પણ ચૈત્ર સુદ એકમ (ગૂડીપડવો)ના દિવસે વર્ષારંભ ઊજવવો ! તેનાં નૈસર્ગિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણો છે.
ગૂડીપડવાના શુભ અવસર પર શું કરશો ?
- ગૂડીપડવાના શુભ અવસર પર વધારેમાં વધારે સગાં-સંબંધીઓ અને મિત્રોને સ્વભાષામાં સંદેશ લખેલા શુભેચ્છાપત્રો મોકલાવજો.
- દૂરભાષ અને ભ્રમણધ્વનિ પર લઘુસંદેશ દ્વારા (S.M.S. દ્વારા) નવાવર્ષની શુભકામનાઓ આપજો.
- શુભેચ્છાઓ આપતી વખતે હસ્તાંદોલન કરવાને બદલે, એક-બીજાને નમસ્કાર કરવા ! ‘હેપી ન્યૂ ઈયર’ એમ કહેવા કરતાં, ‘નવા વર્ષની શુભેચ્છા’ એમ કહેવું !
- નવા વર્ષનું સ્વાગત ફટાકડા ફોડીને કરવા કરતાં, શંખનાદથી કરવું. ફટાકડાના અવાજથી વાતાવરણ રજ-તમયુક્ત બને છે. એટલે ત્યાં અનિષ્ટ શક્તિઓ આકર્ષિત થાય છે. ફટાકડાઓ પર ખર્ચ થતું ધન રાષ્ટ્ર અને ધર્મનાં રક્ષણ માટે અર્પણ કરવું !
- આ દિવસે શુભસંકલ્પ કરવાથી એ વધારે ફળદાયી હોય છે; એટલા માટે રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે પ્રતિદિન એક કલાક ફાળવવાનો સંકલ્પ કરવો ! તમારી એક નાનકડી કૃતિ પણ અન્ય લોકો માટે પ્રેરણાદાયી નીવડશે !
પ્રાર્થના;
નૂતન કળિયુગ વર્ષ ૫૧૨૦ (વિક્રમ સંવત્ ૨૦૭૭) નું શુભ સંવત્સરભ આપણાં સર્વે માટે આનંદ અને સુખસમૃદ્ધિ પ્રદાન કરે, એ જ શ્રી પ્રભુચરણોમાં પ્રાર્થના !
(નોંધ:ગુડીપડવાનો તહેવાર મહારાષ્ટ્ર સિવાય આંધ્રપ્રદેશ, ગોવા અને તેલંગાણામાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. ગુડીપડવાના ઘણા નામો છે જેમ કે સંવત્સર પડવો, યુગદી, ઉગાદી, ચેટી ચાંદ અને નવરેહ. તે ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં પણ ઉજવવામાં આવે છે અને ત્યાં તેને સજીબુ નોંગમા પનાબા કાઇરોબા તરીકે ઓળખવામાં આવે છે.)
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.