Bhavgeet-Mukti male ke na male,mare bhakti tamari karvi che

મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે.


Mukti male k na male

મુક્તિ મળે કે ના મળે,
મારે ભક્તિ તમારી કરવી છે,
મેવા મળે કે ના મળે, 
મારે સેવા તમારી કરવી છે....(૧)
                                        
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....

મારો કંઠ મધુરો ન હોય ભલે,
મારો સૂર બેસુરો હોય ભલે,
શબ્દો મળે કે ના મળે,
મારે કવિતા તમારી કરવી છે....(૨) 

-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....

હું પંથ તમારો છોડું નહી,
ને દૂર-દૂર ક્યાંયે દોડું નહી, 
પુણ્ય મળે કે ના મળે,
મારે પૂજા તમારી કરવી છે....(3)

-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....

આવે જીવન માં તડકા છાયાં,
સુખ દુઃખના પડે ત્યાં પડછાયા,
કાયા રહે કે ના રહે,
મારે માયા તમારી કરવી છે....(૪) 

-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....

જયારે અંત સમય મારો આવે પ્રભુ,
તમ રેહજો આ નયનો ની આગળ પ્રભુ,
શરણે તમારે આવીને મારે મુક્તિ આ જીવ ની કરવી...(૫)

-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....


અચાનક આ ભાવગીત સાંભળવા મળ્યું, ફરી સાંભળ્યું, ફરી ફરી ને સાંભળ્યું... શબ્દબ્રહ્મના રસ્તે નાદબ્રહ્મ તરફ લઇ જતા ઉંડાણભર્યા ધ્વનિને સ્પર્શવાનો પ્રયત્ન કરતો રહ્યો. આ પ્રકારના સાહિત્ય મંથન માં કદાચ સફળતા મેળવવાની શક્યતા ઓછી હોય તો પણ એ પ્રયત્નોમાંય સંતોષ અને શાંતિ મળે છે. એ મંથન મનને એક અનોખા ભાવવિશ્વમાં લઈ જાય છે, અને સાથે સાથે એ આંતરીક સંવાદ બ્રાહ્ય વ્યસ્તતાને કંઈક અંશે શૂન્યતા તરફ થોડીક ક્ષણો પૂરતી પણ લઈ જાય છે. મને લાગે છે કે આખીય રચનાનો ભાવ તેના રચયિતાની વિવિધ ઇચ્છાઓની સમાંતરે જ ચાલે છે. ઈચ્છા અધિક ઈશ્વરની સેવા કરવાની, ભક્તિમાં રત રહેવાની, પૂજા કરવાની અને અંતે મુક્તિ પામવાની... પણ ભક્તને મુક્તિ જોઇએ ? અંતિમ કડી પછી જો પહેલી કડી વાંચો તો સમજાય કે મુક્તિ તો તેણે પહેલા જ ભક્તિ માટે જતી કરી છે, મુક્તિ એ સૌથી મહાન અપેક્ષા છે, એનો અર્થ કે હવે કોઈ પ્રકારની અપેક્ષા નથી રહી.મને કોઈ અપેક્ષા નથી એમ કહેશો તો એ પણ એક અપેક્ષા જ થઈ રહેશે... 

કોઈ પણ ભક્તિરચના આખરે તો એક સર્વબ્રહ્મ સનાતન ઇશ્વર પાસે જ જાય છે. અહીં ભક્ત ઇશ્વર પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવે છે, ઈશ્વર તરફના તેના પ્રેમ પાછળ કોઈ પ્રાપ્તિની ઝંખના કે ઇચ્છા નથી, એટલે જ તો તેને મુક્તિ ન મળે તો પણ ભક્તિ કરવી છે. પહેલી જ પંક્તિ કોનું સ્મરણ કરાવે ?  

હરિના જન તો મુક્તિ ન માંગ, માંગે જનમ જનમ અવતાર રે... 
નિત્ય સેવા, નિત્ય કીર્તન - ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે... 

ઈશ્વર પોતે કદી ભક્તોને ભજન કે ધૂપ દીપ કરવાનું નથી કહેતો, પાસ થઇશ તો નાળીયેર વધેરીશ અથવા પ્રમોશન થશે તો ચાલતો મદિર આવીશ એવી લાલચોમાં કયા ભગવાન ફસાતા હશે ? એટલે અહીં જે મેવાની વાત થઈ છે એ દુન્યવી તો નથી જ, તો કયો મેવો છે જેને સેવા માટે ભક્ત છોડી શકે ? થોડાક વર્ષો પહેલા આવેલા મેટ્રિકસમાં અંતતઃ વણાયેલા મહાભારતને જેઓ જોઈ શક્યા હશે તેમને મોફિયસનો આ સંવાદ અવશ્ય સ્પર્શ્યો હશે.

I'm trying to free your mind, Neo. But I can only show you the door. You're the one that has to walk through it. There is a difference between knowing the path and walking the path. 

ઈશ્વર પ્રાપ્તિ પછી પણ જો હરિના જન મુક્તિ ન વાંછતા હોય, તો એ મેવાને જતો કરવાનું કારણ કદાચ મંઝિલથી વધારે સફરની મજા જ છે. ક્યા રસ્તે ? સાચા માર્ગની ઓળખ હોવી, એ જાણવું પણ એક મુક્તિ જ છે, બંધ દરવાજા ખૂલે એટલે મુક્તિ નથી મળતી, મુક્તિ તરફની સફર શરૂ થાય છે, અને એ રસ્તો ખબર હોવી અને એના પર આગળ વધવું એ બંને પણ ક્યો સમાન છે ? અને એક વાર એ રસ્તે નીકળી ગયા પછી ? મન વાંછે કે રસ્તો કદી પૂરો ન થાય. 

સાચો ભક્ત દુ:ખ કે પીડાને જીવનનો અવિભાજીત હિસ્સો સમજે છે. રડતા આપણે જન્મ લઈએ છીએ, માતાની હુંફાળી કૂખમાંથી ઠંડા અને દુન્યવી વાતાવરણમાં આવવાની પીડા તો થવાની જા દાંત આવે એટલે પીડા, ચાલતા શીખીએ ત્યારે પડવું, પુખ્ત અવસ્થાની પણ પોતાની પીડાઓ હોય છે... અને ત્યાંથી લઈને સતત સુખ હોય ત્યારે તેના જતા રહેવાની અને દુ:ખ હોય ત્યારે તેને ભોગવવાની પીડા વળગેલી રહે છે, સતત મૃત્યુના ભયમાં જીવીએ અને અંતે મૃત્યુ પણ કાંઈ ઓછું પીડાકારક નથી હોતું. જીવન દરમ્યાનમાં દુ:ખ એક આવરણ બની આપણી આસપાસ છવાયેલું રહે છે. ધુમ્મસમાં દૃશ્યતા ધટી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ આવે તો જ રસ્તો દેખાતો થાય, એવો જ કાંઈક સૂર્યપ્રકાશ એટલે આત્મ સાક્ષાત્કાર, અહં બ્રહ્માસ્મિનો સાચો અર્થ સમજાય તો પછી... હરીની હાટડીએ મારે રોજનું હટાણું... સાક્ષાત્કાર પછી કાયા રહે કે ના રહે. કામ વગરની અપાર વ્યસ્તતાઓ અને રોજીંદી ઘટમાળ વચ્ચે જ્યારે આવું કાંઈક વાંચવાનો અને મનન કરવાનો અવસર મળે તો જાણે મન અને વિચારોનું શુદ્ધિકરણ થઇ જતું હોય એવું અનુભવાય તોય ઘણું. 

#Mukti_male_ke_na_male #swadhyay #bhavgeet #swadhyay_online

Video:📽️મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet

Post a Comment

0 Comments