મહાશિવરાત્રિ.
ભગવાન શિવ મહાદેવ છે, તે દેવો ના દેવ છે અને મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ શિવને સમર્પિત છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 11 માર્ચ છે. હિન્દુ પંચાંગ મુજબ, દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રિઓદશી તિથિ પર મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.
મહા વદ ચૌદસને દિવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે ; સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે , શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હૃદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણે સાંભળી જ છે. હરણાંઓના વચન પર વિશ્વાસ રાખી પારધીએ હરણાનાં બાળકોને મળવા જવાની રજા આપે છે .આ બાજુ હરણાઓની રાહ જોતા શિકારી આખી રાત બીલીના વૃક્ષ પર બેસી રહે છે . આખા દિવસના ઉપવાસ , રાતભરનું જાગરણ અને બીલીપત્ર તોડી તોડીને નીચે નાખતા જવાથી વૃક્ષ નીચે રહેલા શિવલિંગનું અનાયાસે(અજાણતા) થયેલું પૂજન આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે . તેમાંય સવાર પડતાં જ હરણાંઓને સહકુટુંબ પાછા આવેલાં જોઇને તેનું હદય પીગળી જાય છે . હરણાંઓનું વચનપાલન અને વાત્સલ્ય થી પારધી નું ઉઠેં છે . બે પગનો માનવ ચાર પગનાં પ્રાણીઓને તેમની મહાનતા માટે ભાવ પૂર્વક નમસ્કાર કરે છે . આ નમ્રતા અને સાચી સૂઝ પારધિનું હદય પરિવર્તન કરે છે અને તેનામાં પણ શિવત્વ પ્રગટ કરે છે .
'' शिवो भूत्वा शिवं यजेत् '' શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ . શિવ બનવાની પ્રેરણા શિવ - દર્શનમાંથી જ સાંપડે છે . શિવ એ જ્ઞાનના દેવ છે . તેમના મસ્તકમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહેલી છે . જ્ઞાનરાણા શિવજીની ઉપાસના કરવા ઈચ્છનાર માનવ પણ જ્ઞાનપિપાસુ હોવો જોઈએ . ગંગા જેમ શિવજીની જટામાંથી નીકળે છે તે રીતે જ્ઞાની માણસની વિશુદ્ધ બુદ્ધિએ જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ . સાચા જ્ઞાનની સામે કોઇપણ સમસ્યા ટકતી નથી . સાચા જ્ઞાનીને ગમે તેવા જટિલ પ્રશ્નનો જવાબ સહજ સાધ્ય હોય છે .
ભગવાન શિવજી હિમાચ્છાદિત ધવલ ગિરિશૃંગ(સફેદ બરફ થી ઢંકાયેલ પર્વત) પર બેઠા છે . જ્ઞાનની બેઠક વિશુદ્ધ હોવી જોઈએ , એવું એમાં સૂચન રહેલું છે . ચારિત્ર્યની વિશુદ્ધ બેઠક વગરનું જ્ઞાન શોભતું નથી .
કૈલાસના ઉત્તુંગ શિખર પર બેઠેલા શિવજી આપણને સમજાવે છે કે શિવ એટલે કે કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચવું જોઈએ . શિવ એ રસ્તામાં પડેલી વસ્તું નથી . કલ્યાણનો માર્ગ કપરો અને કાંટાળો હોય છે . શ્રેયના માર્ગે જતી વખતે અનેક સીધાં ચઢાણ ચડવા પડે છે . કઠિન સાધના સિવાય શિવત્વ સાંપડતું નથી . જીવનની રોજબરોજની સામાન્ય વાતોથી ઉપર ગયા વગર શિવત્વની ઝલક મળતી નથી .
ત્રિલોચન:
શિવજી એ ત્રિલોચન છે . ત્રીજી આંખથી તેમણે કામદહન કર્યું હતું . સાચા જ્ઞાની પર થયેલા કામના પ્રહારો બોથા નીવડે છે , એટલું જ નહીં પરંતુ સાચો જ્ઞાની પિતાના જ્ઞાનાગ્નિથી કામનાને બાળી મૂકે છે .
પુષ્પદંત કવિએ પોતાના શિવમહિમ્ન સ્તોત્રમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુ શિવજીની પૂજા કરતા હતા . સહસ્ર કમળ ચડાવવાનાં હતાં . એક કમળ ઓછું પડતાં વિષ્ણુએ પિતાનું નેત્રકમળ ચઢાવી દીધું . આ પણ એક રૂપક છે . શિવજી જ્ઞાનના દેવ છે જ્યારે વિષ્ણુ એ પ્રેમના દેવ છે . શિવજીને વિષ્ણુની આંખ મળવી જોઇએ ; અર્થાત્ જ્ઞાનીએ પ્રેમની નજરથી સૃષ્ટિ તરફ જોવું જોઈએ . પ્રેમ વગરનું કેવળ જ્ઞાન જીવનને અને જગતને નિરાનંદી બનાવશે . જ્ઞાન કાં તો વિજ્ઞાન , વિશ્લેષણનું આગ્રહી હોય છે , જ્યારે પ્રેમ સમન્વય કે સંશ્લેષણને માને છે . વિશ્લેષણ વસ્તુને છિન્નવિછિન્ન કરીને નિહાળે છે , જ્યારે સમન્વય વસ્તુના સૌંદર્યને માણે છે . જ્ઞાન અને પ્રેમનો સમન્વય જ વસ્તુને વસ્તુતઃ જાણે છે અને છતાં પણ તેના સૌંદર્યને માણે છે .
દિગંબર:
ભગવાન શિવજી દિગંબર છે . અર્થાત તેમણે દિશાઓનાં વસ્ત્ર ધારણ કર્યા છે . સમગ્ર સૃષ્ટિને આવરીને પણ જે શેષ રહે એવા એ પરમાત્મ તત્વને કર્ણ આવૃત કરી શકે ? એમને આચ્છાદિત કરવા માટે બધાં જ વ અપૂરતાં છે . તેવી જ રીતે સમગ્ર વિશ્વને આચ્છાદિત કરનાર તત્વને આચ્છાદનની જરૂર નથી .
ભસ્મ અને ખોપરી:
જ્ઞાની પુરુષે વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ એ સૂચવવા ભગવાન શિવજી પોતાના શરીર પર ભસ્મનું લેપન કરે છે . એ ભસ્મ પણ સામાન્ય માનવોની નથી . મહાપુરુષોના મૃત્યુ પછી એમની ભસ્મને ભગવાન શિવજી માથે ચડાવે છે . તેમજ આવા પ્રભુનિષ્ઠ લોકોની ખોપરીઓને હાર બનાવી પ્રભુ પોતાના ગળામાં ધારણ કરે છે અને તેથી જ તેઓ કપાલી કહેવાય છે .
મહાપુરુષોની ભસ્મ પ્રાપ્ત કરવા ભગવાન શિવજી સતત સ્મશાનમાં ભટક્તા રહે છે . જગતના કલ્યાણ માટે અહર્નિશ અથાક પરિશ્રમ કરતા એ મહાપુરુષોની જોડે ભગવાન પણ જીવનભર દોડતા રહે છે.
જેમના મસ્તકમાં સતત શિવના જ વિચારે ચાલે છે તેવા લોકોની ખોપરીઓને હાર ભગવાન ધારણ કરે છે . એટલું જ નહીં પણ ભગવાન પોતે પણ સતત આ મહાપુરુષનો જ વિચાર કરતા હોય છે . જગતના બીજા લોકો આ વાત જાણી ન જાય તેથી પોતાના મસ્તકમાં ચાલતા વિચારને છુપાવવા માટે તે ભગવાન શિવજીએ જટા ધારણ નહીં કરી હોય ?
ત્રિશુળ:
ભગવાન શિવજીના હાથમાં રહેલું ત્રિશૂળ સજ્જનોને આશ્વસ્ત અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે . સજ્જનોની રક્ષાને માટે શિવ સદા જાગૃત છે તેમજ દુર્જનોની હિંસાને માટે તેઓ સદા કટિબદ્ધ છે . શિવજી ભોળા નથી પરંતુ ભોલાનાથ છે . તેથી દુર્જનોની લુચ્ચાઈને તેઓ તરત જાણી જાય છે . જગતમાં રહેલા પોતાના ભોળા ભક્તોનું તેઓ દુષ્ટોથી રક્ષણ કરે છે . ઈશ્વરનું અસ્તિત્વ ન સ્વીકારનારું સત્કાર્ય પણ ભગવાનને માન્ય નથી , એ દેખાડવા શિવજીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો .
સંહારના દેવ એવા શિવજીના હાથમાં ત્રિશુળ શોભે છે પરંતુ તેમના હાથમાં રહેલું ડમરુ આશ્ચર્ય નિર્માણ કરે છે . ડમરુ એ સંગીતનું પ્રતીક છે . સંસ્કૃતમાં સંહારનો અર્થ શણગાર કે સજાવટ એવો પણ થાય છે . સર્જન અને વિસર્જન બંનેના સહયોગથી સૃષ્ટિની સજાવટ સુંદર લાગે છે . વળી ડમરુ એ જ્ઞાનનું ઉદ્દગાતા છે . મહર્ષિ પાણિનિને તેમના વ્યાકરણના બીજમંત્રો ડમરુના અવાજમાંથી સાંપડયા હતા , એવી દંતકથા છે . ભગવાન શિવજીએ તેમના કાન પાસે ડમરુ વગાડીને આ જ્ઞાન તેમને આપ્યું હતું . સૃષ્ટિના આવા કેટલાયે રહસ્યો ભગવાન સૃષ્ટિ શોધના કાન પાસે ડમરુ વગાડીને તેમને કહેતા હશે . જગતમાંની મોટા ભાગની શોધો ઈશકૃપાથી જ માનવને સાંપડી છે . પરંતુ આજના માનવ પાસે ઈશકૃપાની એ સાચી વાત કબૂલ કરવા જેટલી પાણિનિની પ્રમાણિકતા નથી .
સર્પ :
ભગવાન શિવજી સર્પોને પોતાના શરીર પર રમાડે છે . સર્પો વિષયોના પ્રતીક છે . ઝેરી દાંત પાડી નાખેલો સાપ જેમ હાનિકારક નથી તેમ નિર્વિષ વિષયો પણ નુક્સાનકર્તા નથી. કામ , ક્રોધ , લોભ , મોહ , મદ , મત્સર એ વિકારો જવાના નથી પરંતુ તેમનું ઉદ્દાતીકરણ કરવામાં આવે તે પછી તેઓ બાધક બનતા નથી . તેમની જોડે આસાનીથી રમી શકાય છે . વળી સાપ જેવા ઝેરી માણસો પાસેથી પણ સારું કામ કરાવી લેવાની જ્ઞાની પુરુષની કુશલતાનું પણ અહીં દર્શન થાય છે . જગતમાં ઝેરી ગણાતા આ માણસે મહાપુરુષો પાસે નિર્વિષ અને કાર્યસાધક બની રહે છે .
નીલકંઠ:
ભગવાન શિવજી નીલકંઠ કહેવાય છે . શિવનું – કલ્યાણનું કામ કરવા ઈચ્છતા માનવે સતત ઝેર પીવાની , કડવા ઘૂંટડા પચાવવાની હિંમત રાખવી જોઇએ . સમુદ્રમંથનમાંથી રને સાંપડ્યા તે બધાએ લીધા , અમૃત બધાએ પીધું ; પરંતુ ઝેર નીકળતાં જ બધા ભાગ્યા . તે વખતે સૃષ્ટિના કલ્યાણ કાજે એ ઝેર ભગવાન શિવજીએ પી નાખ્યું . અમૃત પીએ તે દેવ પરંતુ વિષપાન કરે તે મહાદેવ ! એ રીતે ભગવાન શિવજી તે દિવસથી દેવોમાં દેવ એવા મહાદેવ ગણાયા .
શિવજી એ જ્ઞાનના દેવ છે . જ્ઞાનીને બીજાને દોષ તરત દેખાય. વિદ્વાન તે જ કે જે બીજાના દોષોને ઓળખી શકે . પરંતુ , સાથે સાથે વિષરૂપ એવા તે દોષોને ગળામાં રાખવાની હિંમત હોય તો જ તે જ્ઞાની મહાપુરુષ ગણી શકાય . બીજાના દોષો આપણી અંદર ન ઊતરવા જોઈએ તેમજ બહાર જાહેર પણ ન થવા જોઈએ , તેથી તેનું યોગ્ય સ્થાન છે ગળામાં . નીલકંઠ ભગવાન પણ આ વાતનું સૂચન કરે છે .
બીજનો ચંદ્ર:
ભગવાન શિવજીએ બીજના બંકિમ ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો છે . બીજાના ગુણોને આ રીતે માથે ચડાવવાની હિંમત જ્ઞાનીને મહાનતા અર્પે છે . વળી બીજને ચંદ્ર એ કર્મયોગ નું પ્રતીક છે . ભગવાન સાચા કર્મયેગીને જ મસ્તક પર ધારણ કરે છે , એ વાતનું એ ધોતક છે .
નંદિ અને કાચબો:
શિવમંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલાં નંદિ અને કાચબાને નમસ્કાર કરવાના હોય છે . નંદિ શિવને વહન કરે છે તે રીતે આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનિએ તે નંદિની માફક આપણું પણ વિશ્વમાં પૂજા થાય . ભગવાનનું કામ કરનાર બળદ પણ પૂજાય . બળદને બુદ્ધિ ઓછી હોય એવી આપણી માન્યતા છે પરંતુ ભગવાનને કાં તો ભગવદ્દ જ્ઞાનને માથે લઈને જાય છે તો એ સામાન્ય બુદ્ધિના બળદ પણ ભલભલા વિદ્વાનોને ઝાંખા પાડી દે . પ્રભુનો બન્યો તે પોઠિયો પણ પૂજાયો આટલી સારી વાત આપણને સમજાય તો કેવું સારું !
કૂર્મ એટલે કાચબો. એ ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતીક છે . શિવ પાસે જવું હોય તે જીવન સંયમી હોવું જોઈએ . ઇન્દ્રિયોનો ગુલામ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી કે શિવને પામી શક્તો નથી . ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સ્થિતપ્રજ્ઞને કાચબાની ઉપમા આપી છે .
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः। इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता।।
ઈંદ્રિયારામ નહીં પરંતુ આત્મારામ જ જ શિવ સુધી પહોંચી શકે , એ વાત કાચબો આપણને સમજાવે છે . કાચબો એ ધીમી પણ સતત સાધનાનું પ્રતીક છે . માનવે પણ શિવ બનવાની સાધના કરતી વખતે થતા રહેલા આંતર્બાહ્ય પ્રહારોથી બચવા ભકિતની મજબૂત ઢાલ ધારણ કરવી જોઈએ .
જટાધારી-જલધારી:
ભગવાન શિવજી પર રહેલી જલધારી અને તેમાંથી ટપકતું ટીપું ટીપું પાણી એ સાતત્ય સૂચવે છે . ભગવાન પરનો આપણો અભિષેક
સતત ચાલુ રહેવો જોઈએ .
શિવ - નિર્માલ્યને ઓળંગવાથી માનવ શક્તિહીન બને છે . પુષ્પદંત નામને ગંધર્વ ફૂલોની ચોરી કરવા જતી વખતે અજાણતાં શિવનિર્માલ્યને ઓળંગી જાય છે તેથી તેની અદ્રષ્ઠ થવાની શક્તિ નાશ પામે છે . શક્તિહીન બનેલો તે ભગવાનના મહિમાનું ગાન કરે છે અને તે જ આપણું શિવમહિમ્ન સ્તોત્ર. તેનાથી તેની શક્તિ પાછી આવે છે . આપણે પણ શિવનિર્માલ્યને ઓળંગાય નહીં એ દષ્ટિએ શિવ મંદિરમાં સંપૂર્ણ પ્રદક્ષિણા કરતા નથી . આ વાતની પાછળ રહેલું રહસ્ય પણ સમજવા જેવું છે . જે કાર્યો કે જીવનો પ્રભુ પર ચડી ગયાં હોય તે શિવનિર્માલ્ય ગણાય . તેવા જીવનનાં લોકો માટે કે તેવાં મહાન કાર્ય માટે ગમે તેમ બોલવું એ શિવનિર્માલ્યનું ઉલંઘન ગણાય અને એવું પાપ કરનાર માણસ ગમે તેવો શક્તિશાળી હોય તો પણ થોડા જ વખતમાં શક્તિહીન બને . તેથી પ્રભુ પર ચડેલું વિત્ત , પ્રભુને માટે ચાલતું રહેલું કાર્ય કે પ્રભુને અર્પિત થયેલા જીવનોનું આપણે સતત સન્માન કરવું જોઈએ . આવા કર્મની કે માણસની જ્યાં અવગણના થાય તે સમાજમાં દુકાળ , મૃત્યુ અને ભયનું સામ્રાજ્ય પ્રવર્તી રહે , એવું શાસ્ત્રવચન છે .
જેમના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહે છે , ચારિત્ર્યના ઉત્તુંગ અને ધવલ શિખર પર જે બેઠા છે , સાદાઈ એ જ જેને શણગાર છે . વિભૂતિને જે વૈભવ સમજે છે , સજ્જનોનું સંરક્ષણ અને દુર્જનોનો સંહાર એ જેનું જીવન વ્રત છે , કામ નહીં પણ પ્રેમ એ જેનો આરાધ્યદેવ છે , કર્મયોગી એવા બાલેન્દુને જેમણે મસ્તક પર ધારણ કર્યો છે , જગતની રક્ષા કાજે જેમણે હસતે મુખે વિષપાન કર્યું છે . તેમજ કલ્યાણ અને જ્ઞાનના જે મૂર્તિમંત આકાર સ્વરૂપ છે એવા ભગવાન શિવજીને અનંત નમસ્કાર !
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.