૧૫ મે,આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ.
આજે વિશ્વ પરિવાર દિવસ
સમગ્ર વિશ્વને પરીવાર ભાવનાનો દ્રષ્ટિકોણ આપનાર મહાપુરુષ એટલે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે...
પરિવાર જ સૃષ્ટિનો પાયો છે. પરિવાર વગર માણસની કલ્પના પણ અધૂરી છે. દુનિયા હાલ જે કોરોના કાળમાંથી પસાર થઈ રહી છે એવામાં પરિવારનું મહત્વ વધી જાય છે. આજે એટલે કે ૧૫ મે નો દિવસ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Day of Families) તરીકે મનાવવામાં આવે છે. સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે અને પરિવાર બનાવવા માટે લોકોએ હળીમળીને રહેવું ખુબ જરૂરી છે
લાખો લોકોના જીવનમાં ચેતના આપનાર, હજારો લોકોની જિંદગીને નવી દિશા આપનાર ,દરેક કાર્ય પછી તે ખેતી હોય,માછીમારીનો ધંધો હોય ,નોકરી કે બીઝનેસ હોય તેના મૂળમાં ભક્તિ અને પરિવાર ભાવનાના બીજ રોપાયેલ છે.વસુધૈવ કુટુંબકમની વૈશ્વિક પરિવાર ભાવના ઉભી કરનાર મહાપુરુષ એટલે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂ .દાદાજી).૧૯૨૦ માં મહારાષ્ટ્રના રોહા ગામે જન્મેલા આ મહામાનવે પરિવાર ભાવના કઈ રીતે ઉભી કરી ? શા માટે તે જરૂરી છે?..તે તેમણે ચૈતન્ય પુસ્તકમાં ખૂબ સુંદર રીતે સમજાવેલ છે.
અનેક લોકો સાથે મળીને કાર્ય કરે એટલે કાર્ય વિષેના નિયમો આવે. તે લોકો વચ્ચેના સંબંધો અને જવાબદારીઓનો પ્રશ્ન પણ આવે. સામાન્ય રીતે લોકાભિમુખ પ્રવૃત્તિ કરનારાઓ કાર્ય કરવા માટે સંસ્થાનું માળખું સ્વીકારે અને તે પ્રમાણે પદાધિકારીઓ ચૂંટીને કાર્ય કરે.
પણ ભક્તિની દૃષ્ટિથી અને દૈવી ભાઇચારાની વૃત્તિથી આત્મવિકાસાર્થે પ્રભુકાર્ય કરનારાઓ માટે કોઇ સંસ્થાનું માળખું બંધબેસતું ન હોઇ પૂજ્ય દાદાએ સ્વાધ્યાયીઓનો પરિવાર નિર્માણ કર્યાં.
સ્વાધ્યાય પરિવાર એ સામાન્ય કે (Formal) ઔપચારિક સંસ્થા નથી. સામાન્યત: પહેલાં સંસ્થા ઊભી કરવામાં આવે અને પછી કાર્ય શરૂ થાય. સ્વાધ્યાય કાર્ય પહેલાં શરૂ થયું અને પછી માળખાની વાત આવી. પરિવાર એ તત્ત્વતઃ અનૌપચારિક (informal) છે. તેમાં સંસ્થાની જેમ સભ્યપદ કે ફીની વાત હોય નહીં. કોઇએ સભ્ય થવા ધારાધોરણનો સ્વીકાર કરીને અરજીપત્ર ભરવાનું ન હોય કે રાજીનામું આપવાનો સવાલ ન હોય, તેમાં કંઠી, માળા કે મંત્ર આપીને કોઇને પોતાનો કરી લેવાનો કે શપથ કે પ્રતિજ્ઞા લેવડાવીને બાંધી લેવાનો પ્રયત્ન નથી. બંધનથી બાંધી લેવાનો કે પ્રલોભનથી આકર્ષવાનો તેમાં પ્રશ્ન નથી. સ્વાધ્યાયના વિચારો બુદ્ધિથી સ્વીકારીને જે વ્યક્તિ સતત કાર્યરત છે અને કૃતિભક્તિને સમજણપૂર્વક જીવનમાં લાવે છે, તે વ્યક્તિ પરિવારની આમ વિચારોના ફલક ઉપર અને ભક્તિની બેઠક ઉપર આધારિત આ સ્વાધ્યાય પરિવાર છે.
પૂજ્ય દાદા કહે છે કે “આ કાર્ય પ્રભુનું છે. તેથી ભગવાન! તને જે માણસ જોઇતો હશે તેને તું મોકલશે અને ન જોઇતો હશે તેને તું આઘો રાખશે." અહીં કોઇ બંધન કે પ્રલોભન નથી છતાં લોકો આવે છે અને દૈવી ભાઇચારાથી કાર્ય કરે છે. તે જોતાં એમ નથી લાગતું કે જો ભગવાનની ઇચ્છા સિવાય લોકોને ખેંચીને લાવવાનો પ્રયત્ન થયો હોત તો આટલા લોકો પારિવારિક ભાવનાથી કાર્ય કરી શકત? પૂજ્ય દાદા કહે છે કે વ્યક્તિ ભક્તિભાવે પરિવારમાં ભલે સામેલ થાય, પણ તે સિધ્ધાંત સમજીને અને પોતાના મનથી આવે. પૂજ્ય દાદા વધુમાં કહે છે કે ત્રણ પેઢી ટકે તેવું કામ કરવું હોય તો હજારો લોકો જોઇએ, કારણ વૈયક્તિક હૂંફ (Personal touch) થી કામ કરવાનું છે. આવા હજારો લોકોને એક સાથે રાખવાના હોય તો પરિવારના પ્રેમ અને સંબંધ સિવાય તે શક્ય નથી.
સ્વાધ્યાય પરિવારમાં એકતા લોહી બનાવનાર (ભગવાન)ના સંબંધથી છે. અહીં આત્મશાસન કે અનુશાસન છે. નાના મોટાનો ભેદ નથી, ખરા ખોટાનો ભેદ જરૂર છે. પરિવાર ભાવનાથી કામ કરતા હોય છે તેથી આ ભાવનાથી ભેગા થયેલા કૃતિશીલોએ ભક્તિફેરીમાં કે અન્ય કાર્યમાં સાથે કામ કરવા, જે મળે તે ભાઇ સમજવાનો હોય છે, જે મળે તે ગામ સ્વીકારવાના હોય છે, વિકલ્પનો સવાલ જ નથી રહેતો.
ઘણા મોટા વિચારકો અને તત્ત્વવેત્તાઓ સંસ્થાના નિર્માણની વિરુદ્ધ છે. તેઓનું કહેવું છે કે સંસ્થા આવી કે કાર્ય ઉત્સાહ (initiative) અને સ્વમાન (self-respect) રહેતાં નથી, વિચારનું સ્વાતંત્ર્ય રહેતું નથી, કરવાની શક્તિ (creativity) ચાલી જાય છે. સંસ્થાના નીતિ-નિયમોને આધીન થઇ મન મારીને માણસને કામ કરવું પડે છે. વ્યક્તિને કિંમત જતી રહે છે અને તે એક યંત્રના નાના ભાગ તરીકે સંસ્થામાં નગણ્ય ગણાતો કામ કરતો રહે છે. વળી સામાન્ય માનવીને પોતાનો અહમ્ સંસ્થાના અનેક લોકોના સમૂહમાં ઓગાળવો શક્ય નથી. તેવી જ રીતે આત્મવિકાસની ઝંખના રાખતો માણસ સંસ્થા દ્વારા લોકસંગ્રહ કરી શકતો નથી.
કેટલાક અંતિમવાદી એમ પણ માને છે કે કોઇપણ સંસ્થાના કામમાં જોશ અને જોમ લાવવું હોય તો તેની પાસે કોઇક વ્યક્તિ, સંસ્થા, વિચાર ને માટે ધિક્કાર કે દ્વેષની લાગણી હોવી જોઇએ.
સ્વાધ્યાય પરિવારમાં સ્વેચ્છાએ અને આંતરવિકાસને માટે વ્યક્તિ આવે છે. તેને કોઇ પ્રકારે બાંધવાનો પ્રશ્ન નથી. બધાની સાથે ખભેખભા મિલાવી એક બાપના દીકરા તરીકે કામ
કરનારને તેનું સ્વમાન કે સ્વતંત્રતા હણાતા નથી. ને સ્વેચ્છાએ કાર્યમાં જોડાય છે. તેની કર્તૃત્વશક્તિ કુંઠિત થતી નથી, બલ્કે ખીલે છે. પ્રેમ અને સમજણથી કામ થાય છે. નિયમોના જડ બંધનમાં તે બંધાઇ ગયો નથી. તે પોતે આંતરસૂઝથી કામ કરે છે. તે જે કંઈ કરે છે તેમાં તેને આનંદ મળે છે. પોતાના આત્મવિકાસની તક માને છે. પ્રેમ પર આધારિત પ્રભુ-કાર્ય છે તેથી તેને કાર્યની પ્રેરણા માટે કોઇનો ધિક્કાર કરવાની જરૂર રહેતી નથી.
પ્રચંડ કાર્ય કરતા અનેક લોકો ભેગા મળે એટલે નિયમો તો આવે. પણ તે નિયમો માણસને બાંધી દેવા માટે નહીં, પણ એકસૂત્રતા જાળવવા માટે હોય છે. નિયમપાલન થાય છે તોયે પરિવારભાવનાને તેમાં આંચ નથી. લાખો લોકોની હાજરીનું તીર્થરામિલન યશસ્વી થયું તે પરિવારભાવનાને કારણે જ. હજારો લોકો સ્વેચ્છાએ કાર્ય કરવા માટે મહિના ઓ પહેલાં ત્યાં જઇ પહોંચ્યા. એટલું જ નહીં. લાખો રૂપિયાનું કાપડ અમને પ્રસાદ તરીકે જોઇએ છે, એમ કહીને અંદરોઅંદર કિંમત આપી વહેંચી લીધું તે પરિવારભાવના વગર ક્યાંથી કરવાનું મન થાય?
વ્યાપક કામ થતું હોય ત્યારે કોઇ એક એમ કહે કે મારો જ મત સાચો છે, તો તેને અહંકાર કહેવાય. મતો જુદા જુદા હોઇ શકે. ખુલ્લા દિલથી તેની ચર્ચા થાય. પણ અંતે નિર્ણય તો એક જ હોય. નિર્ણય કર્યા પછી તે સૌનો કહેવાય .એજ ખરૂં પરિવાર ભાવનાનું લક્ષણ છે. જેવો હું છું, તેવો મારો સ્વીકાર પરિવારે કર્યો છે, મારામાં રહેલી સદ્ભાવના પર વિશ્વાસ રાખ્યો છે. તો કાર્ય કરતી વખતે હું પ્રેમથી, સન્નિષ્ઠાથી અને બધા માટે આદરભાવ રાખીને કાર્ય કરું, પ્રસંગ આવે મારો મત પ્રદર્શિત કરૂં, ચર્ચા-વિચારણામાં ભાગ લઉં અને જે નિર્ણય લેવામાં આવે, તે હું સ્વીકારૂં. આવી કુટુંબમાં હોય તેવી વિશાલ-હૃદયતા સ્વાધ્યાય-પરિવારમાં છે.
કાર્ય એક સરખું કરવું હોય, લાંબા સમય સુધી ટકે તેવું કરવું હોય, તેને એકસૂત્રતાથી બાંધવું હોય તો વિવિધ સ્થળ, પરિસ્થિતિ, પ્રકાર વગેરે ધ્યાનમાં લઇને સમગ્ર કાર્યને માટે ઉપકારક હોય, તેવો
નિર્ણય લેવાનો હોય છે. આમા કોઇકવાર નિર્ણયો મોડા થતા દેખાય, પણ સમગ્ર કાર્યના વિચારમાં તે આવશ્યક હોય છે. આવા નિર્ણય પછી પ્રત્યેક વ્યક્તિ જે ઉત્સાહથી કાર્ય કરે છે. તે પારિવારિક ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
પરિવાર ભાવનામાં આત્મીયતા હોય છે. તેથી કાર્યકર્તાને કામ પોતાનું લાગે છે. પૂજ્ય દાદાની પાઠશાળા વિદ્યાપીઠ અને કાર્ય માટે તે મારી પાઠશાળા, મારી વિદ્યાપીઠ અને મારૂ કાર્ય કે આપણી પાઠશાળા, આપણી વિદ્યાપીઠ અને અમારૂ કાર્ય’ આવા શબ્દપ્રયોગો સહજ ભાવે સામાન્ય કાર્યકર્તાપણ વાપરે છે. પૂજ્ય દાદાની પરિવાર-ભાવના નિર્માણ કરવાની સફળતાનું આ ઘોતક નથી?
આમ, પરિવાર-ભાવનાથી આટલું મોટું કાર્ય પૂજ્ય દાદા સ્વાધ્યાયીઓ પાસે કરાવે છે. તે તેમની ઇશનિષ્ઠા, અનાગ્રહી કે નિર્મમ વૃત્તિની કમાલ જ છે. દુનિયામાં આવી રીતે આટલું મોટું કાર્ય ક્યાંય પરિવારભાવનાથી થતું જાણ્યું નથી.
તમે તડકો બનીને હૂફ આપી કદિક,
કદિક ઝાડ જેવું થઈને રે છાયો આપ્યો
ને પછી કહેવું પડયું કે હવે તારો
પ્રભાવ મારી નસનસમાં લોહી બની વ્યાપ્યો વ્યાપ્યો
પરિવાર-ભાવનાના મહાન કસબી પૂજ્ય દાદાજીને અનંત પ્રણામ !🙏
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.